અંગદાન જ મહાદાન માનવામાં આવે છે ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ …..

0
314

પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. બ્રેઈન ડેડ થયેલી વ્યક્તિનું આ પ્રકારે અંગદાન કરી શકાય છે……………….

અંગદાન વિવિધ પ્રકારના છે જેમાં લાઈવ રિલેટેડ ડૉનેશન, લાઈવ એનરિલેટેડ ડોનેશન તેમજ ડીસીઝડ/ કેડેવર ઓર્ગન ડોનેશનનો સમાવેશ થાય છે. વ્યક્તિ બ્રેન ડેડ થાય અને તેનું સર્ક્યુલેશન કૃત્રિમ રીતે કરાઈ રહ્યું હોય ત્યારે શક્ય તેટલી જલદી તેનાં અંગો શરીરમાંથી કાઢી લેવાં જરૂરી છે, જ્યારે ટિસ્યુઝ 12 થી 24 કલાકની અંદર કાઢી શકાય છે.

ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે, પરંતુ તેમાંના ફક્ત 3000નેજ તે મળે છે. 90 ટકા લોકો કિડની મેળવ્યા વિના પ્રતીક્ષા યાદી પર હોય ત્યારેજ મૃત્યુ પામે છે તેવીજ રીતે ભારતની વાર્ષિક લીવર પ્રત્યારોપણની જરૂરિયાત 25,000 છે, પણ આપણે કેવળ 800 લીવરજ મેળવી શકીએ છીએ. મૃત્યુ બાદ દરેક જણ સંભવિત અંગદાન કરનારા બની શકે છે.,………

જોકે, કૅન્સર, એચઆઈવી, સેપ્સીસ (ચામડી પર ગડગુમડનો સડો) જેવી બાબતોમાં અંગદાન કરી શકાતું નથી. હિપેટાઈટિસ `સી’ના દર્દીઓ તેવાજ રોગના દર્દીને તેવીજ રીતે હિપેટાઇટિસ `સી’ના દર્દીઓ પણ તેવા રોગના દર્દીને પોતાનાં અંગોનું દાન કરી શકે છે. જોકે, જવલ્લેજ કેસોમાં આવું બનતું હોય છે…………

દરેક વયસ્ક વ્યક્તિ `ઓર્ગન ડોનર’ બની શકે છે તેમજ મા-બાપની સંમતિથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ 100 વર્ષની વય સુધી – આંખ અને ત્વચા, 70 વર્ષ સુધી – કિડની, લીવર, 50 વર્ષ સુધી – હૃદય, ફેફસાં અને 40 વર્ષની વય સુધી – હૃદયના વાલ્વનું દાન કરી શકે છે.

આવાં કોઈ પણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ `નવી’ જિંદગી થાય છે. જેમના હૃદય, લીવર અને કિડની જેવા અત્યાવશ્યક અંગો કામ ન કરતાં અથવા બગડી ગયાં હોય તેઓ આ અંગોનું પ્રત્યારોપણ કરાવી શકે છે અને તેનાથી સામાન્ય જીવન ગુજારી શકે છે.

ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટેશન અૉફ હ્યુમન ઓર્ગન્સ ઍકટ હેઠળ માનવ અંગોનું વેચાણ કે ખરીદી થઈ શકે છે, પરંતુ આ સદંતર ખોટું અને ગેરકાયદે છે અને તેનું ઉલ્લંઘન કરનારાને દંડ તેમજ જેલની સજાની કાયદામાં જોગવાઈ છે.

પશ્ચિમી દેશોથી વિપરીત ભારતમાં અંગદાન કરવાનું પરિવારજનોની પસંદગી પર નિર્ભર છે. ડોનર કાર્ડ ધરાવતી વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ પણ પરિવારે અંગદાન માટેની મંજૂરી આપવી ફરજિયાત છે. અહીં એક અગત્યની વાત એ છે કે અંગદાનને લગતો કોઈ પણ ખર્ચ અંગદાન કરનારી વ્યક્તિના પરિવાર પાસેથી લેવામાં આવતો નથી. વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન રક્ત, બોન મેરો, કિડની તેમજ લીવર, પેક્રિયાસ અને ફેફસાંના અમુક હિસ્સાનું દાન કરી શકે છે, જ્યારે મૃત્યુ બાદ આંખો, હાર્ટ વાલ્વ, ત્વચા, અસ્થિ, સ્નાયુ ઇત્યાદિનું દાન કરી શકાય છે. યાદ રાખો કે ડૉક્ટર કોઈ પણ વ્યક્તિને તે `બ્રેઈન ડેડ’ થઈ ગઈ છે એવું જાહેર કરે ત્યાર બાદજ તેનાં વિવિધ અંગોનું દાન કરી શકાય છે.

ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ એક લાખથી વધુની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here