કેન્સર પીડીતોને મફત ભોજન અને મફત દવા આપવાની સેવા કરે છે આ માણસ

0
182

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઇ દેવાના ભયથી આમ ગાંડાની જેમ ત્યાંથી પસાર થઇ રહેલા માણસોને જોઇ રહ્યો છે.

વાસ્તવિકતા કંઇક જુદી જ હતી. આ યુવાનના કોઇ સગા-સંબંધીને હોસ્પીટલમાં દાખલ કરેલા ન હતા. યુવાન તો માત્ર મૃત્યુના દરવાજા પર આવતા દર્દીઓ અને અને તેના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો. નાના નાના ગામડામાંથી સાવ સામાન્ય સ્થિતીના અનેક લોકો આ કેન્સર હોસ્પીટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા. ક્યાં જવુ ?, ક્યાં રહેવુ?, શું ખાવુ?, દવા ક્યાંથી લાવવી? આવા ઢગલાબંધ પ્રશ્નો હતા આ બિચારા ગામડીયા લોકોના, પણ મદદ કરનાર કોઇ ન હતુ.

આ બધા લોકોને જોઇ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઇક કરવાની ઇચ્છા થઇ. આંખમાં આંસુ સાથે એ હોસ્પીટલ છોડીને ઘરે આવ્યો પણ એને નહોતુ ખાવુ ભાવતુ કે નહોતી ઉંઘ આવતી. આ લાચાર અવસ્થામાં કેન્સરની સારવાર કરાવવા આવતા લોકો માટે હું શું કરી શકુ? આ બધા મારા સગા ભાઇબહેન ભલે ન હોય પણ એક જ ભગવાનના સંતાન હોવાના નાતે તો મારા ભાઇબહેન જ છે. મારે આ બધા માટે કંઇક કરવુ છે.

આ યુવાને પોતાની હોટલ અને બીઝનેશ બીજાના હવાલે કર્યો અને એમાંથી જે કંઇપણ રકમ મળી તેમાંથી નાના પાયા પર એકલા હાથે ટાટા કેન્સર હોસ્પીટલની સામે જ પોતાની સેવાની પરબ ચાલુ કરી. દર્દી અને દર્દીના સગાને મફત ભોજન અને મફત દવા આપવાની શરુ કરી. આજથી 27 વર્ષ પહેલા એકલપંડે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે 57 વર્ષની ઉંમરે રોજના 700થી વધુ દર્દીઓ અને એના સંબંધીઓને મફત જમવાની તથા મફત દવાની સેવા પુરી પાડે છે.

એમણે જીવનજ્યોત ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવસેવાના 62 જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે. એમણે ‘દવાની બેંક’ શરુ કરી કે જ્યાં દવાઓ દાનમાં મળે અને એ દવાઓ જરુરીયાત વાળા લોકોને પહોંચે. આ કામગીરી માટે એમણે 3 ફાર્માસીસ્ટને પણ રાખેલા છે. એમણે એક ‘રમકડાની બેંક’ પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડા હોય તો આ બેંકમાં જમા કરાવે અને આ રમકડા કેન્સરથી પીડાતા નાના-નાના બાળકોને આપવામાં આવે કે જેથી આ નાના ભૂલકાઓ યમરાજાથી ડરવાને બદલે રમકડાથી રમી શકે.

27 વર્ષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલિયાનું નામ છે હરખચંદ સાવલા. હરખચંદને કોઇ મોટા એવોર્ડસ કે સન્માન નથી મળ્યા અને છતાય આ માણસ ટાઢ, તાપ કે વરસાદને અવગણીને સતત કેન્સર પીડીતોની સેવા કરી રહ્યો છે.

આપણે નાનુ સેવાકાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઇ નોંધ ન લે તો દુ:ખી થઇ જઇએ છીએ. હરખચંદ સાવલાના સેવા કાર્યની જેટલી લેવાવી જોઇએ એટલી નોંધ નથી લેવાઇ અને તો પણ એ મોજથી સેવા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here